ઠગબાજો લોકોને મેલી વિદ્યાના નામે ભોળવી અને ખિસ્સા ખંખેરી જતા હોવા છતાં પણ લોકો અંધશ્રદ્ધામાં લુંટાઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો વલસાડમાં બન્યો છે. જ્યાં એક વિધવા માને પોતાની બીમાર દીકરીની સારવારની વિધિ માટે એક ઠગ તાંત્રિકે વિધિના બહાને મહિલાના સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે આખરે આ વિધર્મી તાંત્રિક પોલીસના હાથે ઝડપાતા હવે પોલીસના પાંજરે પુરાવાનો વખત આવ્યો છે.
રાજકુમારી પ્રજાપતિ નામની એક વિધવા મહિલા જે ચાની લારી ચલાવી ગુજરાન કરે છે. પરિવારમાં એક બીમાર દીકરી છે. તેની સારવાર માટે અનેક પ્રયાસો કરવા છતાં પણ તબિયતમાં સુધારો ન થતા આખરે ભગત ભુવાના શરણે જવાનું વિચાર્યું હતુ. જે દરમિયાન વાપીના ગુલાબ નગરમાં રહેતા નૂર મહંમદ અઝીઝ ઊલ્લા શેખ નામના ઠગ તાંત્રિકે મહિલા પાસે જઈ અને પોતે કાલિકા માતાનો ભક્ત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બીમાર દીકરીની વિધિ કરવા માટે મહિલાને ભોળવી હતી. જોકે દીકરીની બીમારી દૂર થશે તેવું માની આ વિધવા મહિલા ઠગ તાંત્રિકની જાળમાં ફસાઈ ગઇ હતી.
વિધિ કરવા મહિલાને બેસાડી અને કપૂર, કાળો દોરો, લીંબુ સહિત મેલી વિદ્યામાં વપરાતી કેટલીક સામગ્રીઓ પૂજામાં રાખી અને ત્યારબાદ એક માટીના કોડીયામાં કઈ શંકાસ્પદ મૂકી તેને પાણીમાં મુકતા પાણીમાં કોડિયામાં આગ લાગી હતી. ત્યાર બાદ વિધર્મી ઠગ તાંત્રિકે મહિલાને તેમના સંતાનની ચિતા સળગતી હોવાનું બહાનું બતાવી વિધિના બહાને વિધવા મહિલાએ પહેરેલા સોના ચાંદીના દાગીના વિધિમાં મુકવા જણાવ્યું હતું ત્યારબાદ તેણે ચાલાકીથી વિધિમાં મુકેલા દાગીના સેરવી લઈ અને આ દાગીના પોતે એક કાળી થેલીમાં મૂકે છે તેવું વિધવા મહિનાને જણાવ્યું હતું.
આ થેલી વિધિના 51માં દિવસે ખોલવા જણાવ્યું હતું એ પહેલા જો થેલી ખોલશે તો અનર્થ થશે તેવો ડર પણ બતાવ્યો હતો. આથી આ મહિલા ભોળવાઈ ગઈ હતી અને ઠગ તાંત્રિક પોતાની કરતબ અજમાવી અને ફરાર થઈ ગયો હતો. જોકે એક વખત સ્વાદ ચાખી ચુકેલો આ ઠગ સતત બીજા દિવસે પણ મહિલા પાસે આવી અને પોતે આજે પણ વિધિ કરશે તેવું જણાવ્યું હતું. આથી મહિલા દુકાને હતા દરમિયાન તેમને શક જતા ઘરે આ તાંત્રિકે વિધિમાં મૂકેલી કાળી થેલી મંગાવી અને ઠગ તાંત્રિકને દુકાન પર જ વિધિ કરવા જણાવ્યું હતું. આથી પહેલાની જેમ જ ફરી પાછા બીજા દાગીના શેરવી શકાશે તેવી લાલચ જાગી હતી. ત્યાર બાદ મહિલાના ભાઈ કાળી થેલી લઈ અને દુકાન પર આવ્યા હતા. એ થેલી વિધર્મી તાંત્રિક પાસે જ સીલ ખોલાવતા થેલીમાંથી કાઇ નીકળ્યું ના હતું. આથી આ વિધવા મહિલા પોતે ઠગાઈ હોવાના જાણ થતાં જ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
જોકે તે વખતે આ ઠગ મોકો જોઈ ફરાર થઈ ગયો હતો. પરંતું પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વિધવા મહિલાને ઠગનાર આ કથિત ઠગ તાંત્રિકને ગણતરીના કલાકોમાં જ ઝડપી પોલીસના હવાલાતના સળિયા ગણાવ્યા હતા. જોકે અત્યારે પોલીસે આ વાપીના ગીતા નગરમાં રહેતા નૂર મોહમ્મદ અઝીઝ ઉલ્લા શેખની ધરપકડ કરી તેની આગવી ઢબે પૂછપરછ કરવાની શરૂ કરી છે.