દાહોદ અને છોટા ઉદેપુરમાં બોગસ સિંચાઈ કૌભાંડમાં પૂર્વ IAS બી ડી નિનામાની ધરપકડ કરવામાં આવી છે. છોટાઉદેપુરમાં કાગળ ઉપર ખોટી સરકારી કચેરી ઉભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતો.
જો કે, આ ઉદવહન સિંચાઈ યોજનાની મીટિંગ થતા તેમાં બોડેલી સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર ધવલ પટેલને બોર્ડર વિલેજ યોજનાના વર્ષ 2023-24 ઉદવહન સિંચાઈ યોજનાના 12 કામોના 3.74 કરોડની દરખાસ્ત વિશે પૂછવામાં આવતા તેમણે આવી કોઈ જ દરખાસ્ત ન કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તપાસ શરૂ કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
છોટા ઉદેપુરના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ઠગે કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામના બોગસ ડોક્યુમેન્ટથી ખોટી સરકારી કચેરી બનાવી નાખી હતી. આ કચેરીથી 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું અને કુલ 93 કામની આદિજાતિ પ્રયોજના વિભાગની કચેરીમાંથી 4 કરોડ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવીને ઉચાપત કરી નાખી હતી. છોટાઉદેપુરમાં બોગસ કચેરી બનાવ્યા બાદ દાહોદ અને ઝાલોદ ખાતે પણ બોગસ કચેરી ઉભી કરી 18 કરોડથી વધુની ગ્રાન્ટ ખોટી રીતે મેળવી હતી. બોગસ કચેરી હેઠળ 100 જેટલા વિકાસ કામો મંજુર કરાવી રૂપિયા 18,59,96,774 કરોડ જેટલી માતબર રકમની ગ્રાન્ટ મેળવી કૌભાંડ કરવામાં આવ્યું હતું.
દાહોદ પોલીસે રિટાયર્ડ IAS અને પૂર્વ પ્રાયોજન અધિકારી બી.ડી. નીનામાનીધરપકડ કરી છે. દાહોદ જિલ્લામા અડધો ડઝન બોગસ સરકારી કચેરી ખોલી સંદીપ રાજપુતએ 18.59થી વધુનુ કૌભાંડ આચર્યું હતું. બી.ડી. નીનામા વર્ષ 2019થી પ્રાયોજન અધિકારી હતા.