કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકતા ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઇકાલે ડુંગળીની નિકાસ બંધીની થયેલી જાહેરાત બાદ ભાવનગર, મહુવા, તળાજા સહિત યાર્ડમાં ડુંગળીની હરરાજી બંધ થઈ હતી. ડુંગળીની સિઝન ટાણેજ સરકાર દ્વારા નિકાસબંધી કરી દેવામાં આવતા ખેડૂતોની કસ્તુરી જ ખેડૂતોને જ રડાવી રહી છે.
આભાર – નિહારીકા રવિયા
સૌરાષ્ટ્રના સૌથી મોટા મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેન્દ્ર સરકારે ડુંગળીની તાત્કાલિક નિકાસબંધી કરતા હરાજી બંધ કરવામાં આવી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ૫૦૦૦૦ ગુણીની આવક થઈ હતી. વેપારી ડુંગળી ખરીદવા કે ખેડૂત વેચવા તૈયાર ન હોવાથી યાર્ડ દ્વારા હરાજી બંધ કરવામાં આવી છે. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ચેરમેનની ઓફિસ પર ખેડૂતો એકઠા થયા હતા. તળાજા, ગારીયાધાર, જેસર, પાલીતાણા, રાજુલા સહિતના તાલુકા અને ગામડાઓમાંથી ડુંગળી લઈને ખેડૂતો મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચતા હોય છે. ડુંગળીના સિઝન ટાણેજ સરકાર દ્વારા નિકાસબંધી કરી દેવામાં આવતા ખેડૂતોના હરાજી દરમિયાન ભાવ પણ તૂટી રહ્યા છે. અને બે દિવસ પૂર્વે ૭૦૦ રૂપિયે મણ વેચાતી ડુંગળીના ભાવમાં ૨૦૦થી ૨૫૦ સુધીનો કડાકો બોલી જવા પામ્યો છે. જેથી ખેડૂતોની કસ્તુરી ખેડૂતોને જ રડાવી રહી છે. મહુવા યાર્ડ છેલ્લા સપ્તાહથી લાલ અને સફેદ ડુંગળીની વિક્રમ જનક આવકથી ઉભરાઈ રહ્યુ છે. પ્રતિદિન અનેક નાના મોટા વાહનો ભરીને હજારો મણ મગફળી અને ડુંગળી સહિતની કૃષિ જણસ યાર્ડમાં લાવવામાં આવી રહી છે. ગોહિલવાડમાં પ્રમાણમાં સારા ભાવ મળી રહેવાથી વેચવાલી છે ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરાતા ખેડૂત આલમ આક્રમક મૂડમાં આવી ગયા છે. ગત વર્ષે ખેડૂતોએ ડુંગળીમાં કરેલી નુકશાની આ વર્ષે થોડી ઘણી ભરપાઈ થાય તેમ છે અને થોડા ઘણા પૈસા મળે તેમ છે તેથી આ સમયે નિકાસબંધીનું પગલુ ગેરવ્યાજબી છે.આ વર્ષે માવઠાથી પણ ડુંગળીના પાકને નુકશાન થતા વાવેતરમાં ઘટાડો થયેલ છે. ત્યારે સહજ રીતે ભાવ ઉંચા રહી શકે છે જે વાસ્તવીકતા સ્વીકારીને પણ સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસબંધી દૂર કરવામાં આવે તેવી મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે માંગ કરી છે. જોકે હાલમાં યાર્ડમાં ડુંગળીની નવી આવક પર મનાઈ ફરમાવવામાં આવી છે.