શિહોર તાલુકાના મઢડા ગામે ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગના લોકાર્પણ તથા મઢડા-વાવડી રોડ પરના પુલના ખાતમુહૂર્તનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પાલિતાણા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી ગેમાભાઇ ડાંગર, શિહોર તાલુકા ભાજપ પ્રમુખ ભોજુભાઇ ડાંગર, શિહોર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ અભેશંગભાઇ ચૌહાણ, શિહોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ પી.વી.સોલંકી તથા ભાવનગર જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ અર્જુનભાઇ યાદવ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
એક તરફ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ઉત્સાહ હતો, તો બીજી તરફ આ કાર્યક્રમમાં ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. મઢડા ગામના સરપંચ અને કોંગ્રેસ કાર્યકર નરેશભાઈ સાંકળિયા તેમજ શિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ મકવાણા સહિત અંદાજે ૧૨ જેટલા ગ્રામજનો આ કાર્યક્રમનો વિરોધ કરવા માટે સ્થળ પર આવી રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શિહોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિરોધ કરવા આવી રહેલા આ તમામ ૧૨ ગ્રામજનોને અટકાયતમાં લીધા હતા. ત્યારબાદ, નિર્ધારિત સરકારી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ પોલીસે તમામ અટકાયત કરાયેલા લોકોને મુક્ત કર્યા હતા. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો.




