ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન સુપ્રિટેન્ટેન્ડ કે.કે.ગોહિલનો કાર્યકાળ ભારે વિવાદાસ્પદ બન્યો છે. અગાઉ કોરોના સંક્રમણ વખતે કોર્પોરેશનની માલિકીના Âસ્વમીંગ પુલ બંધ રાખવા સુચના થતાં પોતાના મળતીયાઓને ધુબાકા મરાવી એપેડેમીક એક્ટનો ભંગ કર્યો હતો. તો અમરેલી પંથકમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર સાથે છાંટોપાણી કરી કાર લઇ નિકળતા પોલીસના હાથે ઝડપાયા હતાં ત્યાં હવે ગઇકાલે પીલગાર્ડનમાં મહિલાની છેડતી કર્યાની પોલીસ ફરિયાદ તેમના વિરૂદ્ધ નોંધાતા ચકચાર મચી છે.
ગઇકાલના બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ખોપાળા ગામે રહેતું એક દંપતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં આવેલ પીલગાર્ડનની પાસે આવેલ રૂખડિયા દાદાના મંદિરે માનતા કરવા આવ્યા હતા અને માનતા પુરી કરી મંદિરે બેઠા હતા તે વેળાએ પીલગાર્ડનની સામે જ ઓફિસ ધરાવતા ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ કે.કે.ગોહિલે પતિ-પત્નિને ત્યાં ઓફિસમાં બોલાવી મંદિરે કેમ બેઠાં છો તેમ પુછી, જ્ઞાતીની પૂછપરછ કરી હતી જે બાદ દંપતિ અનૂસૂચીત જનજાતીના હોવાનું જણાતા અધિકારી કે,કે.ગોહિલે બહારથી દર્શન કરવા તેમજ ત્યાં નહીં બેસવાનું જણાવી દંપતિને અપશબ્દો કહી અપમાન કર્યું હતું.
આ બનાવમાં મહિલાએ ગાર્ડન સુપ્રિ. ગોહિલે મહિલાની સાથે જપાજપી કરી, મહિલાની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ આ દંપતિએ નિલમબાગ પોલીસ મથકે જઇ અધિકારી કે.કે. ગોહિલ વિરૂદ્ધ છેડતી, એટ્રોસીટી તેમજ મારામારીની ફરિયાદ નોંધાવતા આ બનાવમાં વધુ તપાસ ડિવાય.એસ.પી.એ હાથ ધરી છે.