અયોધ્યામાં ભગવાન શ્રીરામલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 22 અને 23 જાન્યુઆરીએ એમ બે દિવસ વિરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી મગજ (લાડું) પ્રસાદ અપાશે સાથે જ આજીવન રામલલ્લાને બે ટાઈમ થાળ પણ ધરાશે.
આગામી 22 જાન્યુઆરીના અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્યાતિ ભવ્યનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે વીરપુરના સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાને વંદન કરવાનું મન થાય. ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ અયોધ્યામાં શ્રીરામ મંદીરના ટ્રસ્ટીઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ 4 ડિસેમ્બર 2020ના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી જાહેરાત થઈ કે, વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં શ્રી રામ લલ્લાને જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે.
વિશ્વમાં સમૃદ્ધિ અને ચળકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણના ટ્રસ્ટીઓએ વીરપુર પૂજ્ય જલાબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામબાપાની વિનંતી સ્વીકારી. સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત હજુ એ છે કે આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદીરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને ભગવાન શ્રીરામના દર્શન કરવા આવેલ તમામ દર્શનાર્થીઓને 22 અને 23 જાન્યુઆરીએ એમ બે દિવસ મગજનો (લાડું )નો પ્રસાદ આપવામાં આવશે.
પૂજ્ય જલારામ બાપાના પરિવારજન એવા પૂજ્ય ભરતભાઇ ચાંદ્રાણીએ જણાવ્યું હતુ કે વિરપુર થી 50 થી 60 સ્વંયમ સેવકોની ટિમ 2 જાન્યુઆરીના રોજ અયોઘ્યા જવા રવાના થશે અને તે સ્વયંમ સેવકો અયોઘ્યા પહોંચીને મગજનો પ્રસાદ ત્યાં બનાવીને 22 અને 23 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિર પરિસરમાં ખાસ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ ભાવિકોને મગજના પ્રસાદનું વિતરણ કરશે.