સુરતમાં મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા દેશભરના સિમાડા સાચવતા શહીદ થયેલા જવાનોના પરિવારજનોને પ્રેમ, લાગણી અને હૂંફ પુરી પાડવા માટે સન્માનિત કરતો કાર્યક્રમ શનિવારે સાંજે છ વાગ્યે યોજાશે. સરથાણા ખાતે આવેલા હરેકૃષ્ણ કેમ્પસમાં યોજાનારા કાર્યક્રમમાં 131 શહીદ પરિવારોને મુખ્યમંત્રી અને દેશના સરક્ષણમંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં 250 લાખ રૂપિયાની રાશિ અર્પણ કરવામાં આવશે.
ટ્રસ્ટના પ્રમુખ લવજીભાઈ બાદશાહ તથા સ્થાપક પ્રમુખ નનુભાઈ સાવલીયાએ કહ્યું કે, રાષ્ટ્રની સીમાઓની રક્ષા કરતા સૈન્યના જવાનો જયારે શહીદ થાય છે ત્યારે તેમનો પરિવાર નોંધારો બની જાય છે. બારેમાસ અને ચોવીસ કલાક સીમા પર અડીખમ રહેતા, સીયાચીનના માઈનસ ટેમ્પરેચરથી માંડીને રણપ્રદેશના અતિઉષ્ણ તાપમાન સહન કરીને જજુમતા આ સૈનિકોનાં પરિવાર પ્રત્યે આપણે પણ સંવેદનશીલ બનવું જોઈએ.
ટ્રસ્ટનાં મંત્રી સી.પી.વાનાણીએ કહ્યું કે તા.30/12/2023 ને શનિવારે સાંજે 6.00 કલાકથી આ કાર્યક્રમ નિયત સમયે શરૂ થઈ જશે. આ દરમિયાન આ પરિવારનું ભવ્ય સન્માન-અભિવાદન કરવામાં આવશે. ત્યારબાદ તેઓને શૌર્ય રાશિના ચેક અર્પણ કરવામાં આવશે. આજ દીન સુધીમાં દેશના વિવિધ રાજ્યોનાં 320 શહીદ પરિવારને શૌર્ય રાશિ અર્પણ કરેલ છે. અને આજે વધુ 131 પરિવારને પ્રત્યેકને રૂ.2,50,000/- આપી ટોટલ 451 શહીદ પરીવારોને શૌર્ય રાશિથી સન્માનિત કરવામાં આવ્યા છે.