સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પંથકના ખંપાળીયા ગઢડા ગામની સીમમાં 6 દિવસ પહેલા કૂવામાં ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા ચાર ખાણ મજૂરો દટાયા હતા. જેમાં ત્રણના મોત અને એક ઘાયલ થયા હોવાની ફરિયાદ 6 દિવસ બાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જ્યારે આ બનાવ બન્યો ત્યારે આ બનાવની ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લામાં ચર્ચાના એરણે ચડી હતી. તંત્ર સુધી પણ આ બાબતની માહિતી જે તે સમયે પહોંચી હતી. પરંતુ, તંત્રએ આ બાબતે કોઈ ફરિયાદી તેમની સમક્ષ ન આવ્યું હોવાની વાત કરી હતી. જો કે, સામાજિક કાર્યકર્તાઓ પાસે આ બનાવની ચોક્કસ માહિતી હોય અને આ મામલે આંદોલન છેડતા અંતે 6 દિવસે પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જે ત્રણ લોકોના મોત નિપજ્યા છે તેનું પોસ્ટમોર્ટમ કર્યા વગર જ અંતિમ સંસ્કાર કરી નખાયા હોવાનું સામે આવ્યું છે.