ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન વિવાદ થતા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. છોટા ઉદેપુર નકલી કચેરી મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કાંડનો મુદ્દો ઉછાળ્યો હતો. આ મુદ્દાને લઇને સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગઇ હતી જે બાદ હોબાળો થતા કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે આજના દિવસ માટે પણ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મુક્યો હતો કે, વિપક્ષ પેટા પ્રશ્નો પૂછી શકે છે પણ વર્તન અયોગ્ય છે. કોંગ્રેસ પક્ષના નેતાઓને આજના દિવસે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જે પછી મંત્રી બળવંતસિંહ રાજપૂતે દરખાસ્તને ટેકો આપ્યો હતો.
ગુજરાત વિધાનસભા ગૃહમાં છોટા ઉદેપુર નકલી કચેરી કાંડનો મુદ્દો ગૂંજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કચેરી કાંડને લઇને ગૃહમાં નારા પણ લગાવ્યા હતા. સરકારે નકલી કચેરી કાંડ અંગે જવાબ આપતા કહ્યુ કે, નકલી કચેરીઓ ઝડપાઇ તેની જાણ થતા જ કાર્યવાહી કરવામાં આવી છે, જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. નાણાની રિકવરી અંગે ન્યાયિક તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.