બ્રાન્ડ નેઈમ વાપરવાની સામે રોયલ્ટી પેમેન્ટ કરવા બદલ બે ડઝનથી વધુ રીયલ એસ્ટેટ કંપનીઓને જીએસટી વિભાગે નોટીસ ફટકારતા વિવાદ સર્જાયો છે.બિલ્ડરોએ આ મામલે નાણા મંત્રાલય સમક્ષ ઘા નાખી છે.મધ્યમ મોટી સહીત 27 રીયલ એસ્ટેટ કંપનીઓને જીએસટી વિભાગે નોટીસ આપી છે. સબસીડીયરી (પેટા) કંપનીઓને કોર્પોરેટ ગેરંટી આપવાના બદલામાં જીએસટી નહી ચુકવવા બદલ પણ નોટીસો આપવામાં આવી છે.આમાં 18 ટકા જીએસટી ચુકવવાનો થાય છે.
નાણા મંત્રાલય સમક્ષ રજુઆતમાં રીયલ એસ્ટેટ ડેવલોપરોએ એવી દલીલ કરવી પડે છે કે મોટાભાગનાં બિલ્ડરો દરેક પ્રોજેકટ માટે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ (એસપીવી) મોડલનો ઉપયોગ કરતા હોય છે. 18 ટકા જીએસટીથી પ્રોજેકટ ખર્ચમાં મોટો વધારો થશે. બિલ્ડરોનાં માર્જીનને અસર થવા સાથે કિંમતમાં વધારો થશે. જીએસટી નોટીસ મેળવનારી તમામ રીયલ એસ્ટેટ કંપનીઓએ વ્યકિતગત ધોરણે નાણા મંત્રાલય સમક્ષ રજુઆત કરી હતી. નાણા મંત્રાલયનાં એક સિનિયર અધિકારીએ કહ્યું કે જીએસટી મામલે બિલ્ડરો-ડેવપલરોએ રજુઆત કરી છે. તેઓની દલીલ પર વિચારણા કરવામાં આવી રહી છે.
રીયલ એસ્ટેટ કંપનીઓનું એવુ કથન છે કે વિવિધ પ્રોજેકટમાં સંયૂકત ભાગીદારીમાં એસપીવી મોડલ મદદરૂપ બનતુ હોય છે. સુત્રોએ કહ્યું કે બિલ્ડરો દ્વારા અન્ય કેટલાંક મુદ્દા પણ આગળ ધરવામાં આવ્યા છે જે રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં પ્રધાન જુથને સોંપવામાં આવે તેવી શકયતા છે. જીએસટી ઈન્ટેલીજન્સના ડાયરેકટર જનરલના કહેવા પ્રમાણે રીયલ એસ્ટેટ કંપનીઓએ 3500 કરોડની જીએસટી ચોરી કરી છે 1800 કરોડની વસુલાત કરવામાં આવી છે. જીએસટી વિભાગનું કહેવુ છે કે એસપીવી (ભાગીદારી કંપની) દ્વારા વપરાતા મૂળ કંપનીના બ્રાન્ડ નેઈમ તથા લોગો એક પ્રકારની સર્વીસ છે અને તેમાં 18 ટકા જીએસટી લાગે છે. ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સના કહેવા પ્રમાણે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાંથી જ 3500 કરોડની જીએસટી ચોરી પકડવામાં આવી છે.