સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અખિયાણા-માલવણ ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ કાર ઘુસી જતા બે યુવાનનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવાનનું સારવાર માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે મોત થયું હતું. અકસ્માતમાં કુલ ત્રણ યુવકનાં મોત થયાં હતાં.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે યુવાનનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, જ્યારે અન્ય એક યુવાનનું સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું છે. માલવણ સી.એન.જી પંપ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ ત્રણ યુવાનનાં મોત થયાં છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.