અમદાવાદ શહેરમાં અમુક શાળાઓએ ઈદ અને ચેટિચાંદની જાહેર રજાઓમાં વાર્ષિક પરીક્ષા ગોઠવતા વાલીઓમાં આક્રોશ ફેલાયો હતો. લેખિત રજૂઆત ડીઈઓ કચેરી સુધી થઈ હતી. તેના અનુસંધાને અમદાવાદ શહેરના DEO દ્વારા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.
શાળા-કોલેજોમાં જાહેર રજા નિમિત્તે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવે છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં આવેલી કેટલીક શાળાઓએ ઈદ અને ચેટિચાંદ તહેવારમાં વાર્ષિક પરીક્ષાનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓને તહેવારના દિવસે પરીક્ષા આપવાના લીધે વાલીઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. મળતી માહિતી અનુસાર, DEO કચેરીને વાલીઓ દ્વારા કરાયેલી રજૂઆતો બાદ શિક્ષણ અધિકારીએ શાળાઓને તાકીદ કરી છે. જો કોઈ શાળા જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખશે તો શાળા વિરૂદ્ધ નિયમો મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 8 થી 20 એપ્રિલ દરમિયાન ગોઠવવાની બોર્ડે સૂચના આપી છે.