રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના અભદ્ર નિવેદનના વિવાદમાં હવે માલધારી સમાજે પણ ઝંપલાવ્યું છે. રાજપૂત સમાજના આંદોલનને માલધારી સમાજે ટેકો જાહેર કર્યો છે. અમદાવાદના મેઘાણીનગરના પ્રેમાનંદ આશ્રમમાં માલધારી આગેવાનોની બેઠક મળી હતી. ઉપરાંત ઢોર પોલીસી અમલ મામલે પણ પુન: લડત શરૂ કરવાની ગોપાલક સમિતિએ જાહેરાત કરી હતી.
માલધારી આગેવાનોએ જણાવ્યું હતું કે, રાજપૂત સમાજ મામલે કરાયેલા નિવેદનને અમે વખોડીએ છીએ અને તેમના તમામ નિર્ણયને અમે સમર્થન આપીએ છીએ. ઢોર પોલીસીમાં પાછલા બારણે રહેઠાણ પુરાવા માટે ઈન્ડેકસ નકલનો મુદ્દો ઉમેરી દેતા ગોપાલક સમાજમાં રોષ છે. રસ્તે રખડતા ઢોર મામલે કાર્યવાહીનો અમને કોઈ વિરોધ નથી, ઘરમાંથી પકડી જવાય છે એનો વિરોધ છે.
આગામી 6 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠકના એસજી હાઈવે સ્થિત મધ્યસ્થ કાર્યાલયે રજૂઆત કરી આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે. જો 6 એપ્રિલે ઉકેલ નહીં આવે તો 14 એપ્રિલે પગપાળા કૂચ કરી 15 એપ્રિલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને રજૂઆત કરવાનું માલધારી સમાજનું આયોજન છે. ઢોર પોલિસી અમલ મામલે ગોપાલકોએ શપથ લીધા છે કે ઉકેલ નહીં આવે તો ચૂંટણીમાં ભાજપને સમર્થન નહીં આપીએ.