વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં નિવેદનો પર વાંધો ઉઠાવ્યા બાદ ચૂંટણીપંચે સંજ્ઞાન લીધું છે. આચારસંહિતા ભંગના આરોપમાં પંચે ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના વરિષ્ઠ નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો છે. બંને પક્ષોને 29 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવા સૂચના આપવામાં આવી છે.
ભાજપએ સોમવારે ચૂંટણીપંચને કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશમાં ગરીબી વધવાના ખોટા દાવા કરી રહ્યા છે. ભાષાના આધારે દેશને ઉત્તર-દક્ષિણમાં વહેંચવામાં આવી રહ્યો છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ ‘સંપત્તિની વહેંચણી’ પર પીએમ મોદીના નિવેદન પર કાર્યવાહી કરવા માટે સોમવારે પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે આ નિવેદનને વિભાજનકારી, ખરાબ ઈચ્છાથી ભરેલું અને ચોક્કસ સમુદાયને નિશાન બનાવનાર ગણાવ્યું હતું.
ચૂંટણીપંચે બંને પક્ષોના પ્રમુખોને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ જવાબ આપવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.
પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓનાં ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે. ચૂંટણીપંચ તરફથી કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશે કહ્યું કે અમે પંચને ફરિયાદ કરી હતી. જે રીતે ભાજપ ધર્મનો ઉપયોગ કરી રહી છે, એમ કહીએ કે દુરુપયોગ કરી રહી છે. તે ખૂબ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.