સુરતની લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. ટેકેદારોની ખોટી સહીના મુદ્દે નાટકીય રીતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ ભારે ઉહાપોહ મચી ગયો છે. ત્યારે નિલેશ કુંભાણી સપરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયાં હતાં. ઘરને તાળા મારીને નાસી ગયેલા કુંભાણીના ઘરના દરવાજા 3 દિવસે ખુલ્યાં હતાં. નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા છે. ત્યારે હજુ પણ નિલેશ કુંભાણી કોંગ્રેસના નેતાઓથી સંપર્ક વિહોણા હોવાનું સામે આવી રહ્યું છે.
કોંગ્રેસ સાથે ગેમ કરી ગયેલા નિલેશ કુંભાણીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોજ રોજ ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. ત્યારે ગતરોજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણીના ઘર સામે ગદ્દાર અને લોકશાહીના હત્યારાના બેનર લગાવવામાં આવ્યાં હતાં. ત્યારે આજે નિલેશ કુંભાણીના પત્ની પોતાના ઘરે પહોંચ્યા છે. જેને લઈને કુંભાણી પણ વહેલી તકે હાજર થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.
ફોર્મ રદ્દ થયા બાદ કુંભાણી ગોવા જતાં રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સપરિવાર જતાં રહેલા કુંભાણી હવે સુરતમાં આવી ગયા હોવાનું સૂત્રો કહી રહ્યાં છે. ત્યારે તેમના પત્ની ઘરે આવી ગયા છે.સરથાણા પોલીસ અને ક્રાઈમ બ્રાંચ દ્વારા નિલેશ કુંભાણીના ઘર બહાર અને નીચે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.