સુપ્રિમ કોર્ટે શુક્રવારે વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ સ્લિપ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણીમાં બેલેટ પેપર પર પાછા જવાની માંગને પણ ફગાવી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે વિપક્ષને આડે હાથ લીધા હતા.
બિહારના અરરિયામાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “સુપ્રીમ કોર્ટનો નિર્ણય જ વિપક્ષના મોઢા પર મોટી થપ્પડ છે. હવે મોઢું ઉંચું કરીને જોઈ નહીં શકે. આજનો દિવસ લોકતંત્ર માટે શુભ દિવસ, વિજય દિવસ છે. જૂનો યુગ પાછો નહીં આવે. INDI ગઠબંધનના દરેક નેતાએ દેશની જનતાની માફી માંગવી જોઈએ.”
ઈવીએમ અને વીવીપેટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 26મી એપ્રિલે પીએમ મોદીએ બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષને આડેહાથ લેતાં કહ્યું કે, આજે સુપ્રીમ કોર્ટે જે કહ્યું તેનાથી કેટલાક લોકોના સપના ચકનાચૂર થઈ ગયા છે. સુપ્રીમે સ્પષ્ટ કહી દીધું કે, બેલેટ પેપરનો યુગ પાછો નહીં આવે. જે લોકોએ ઈવીએમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે તેમને સુપ્રીમ કોર્ટે તમાચો માર્યો છે. આજે મતપેટીઓ લૂંટનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે. જ્યારે આખી દુનિયા ભારતની સિસ્ટમના વખાણ કરી રહી છે, ત્યારે આ લોકો હવે અંગત સ્વાર્થના ખરાબ ઈરાદા સાથે ઈવીએમને બદનામ કરવા લાગ્યા હતા.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આજે લોકશાહી માટે ખુશીનો દિવસ છે. અગાઉ આરજેડી અને કોંગ્રેસના શાસનમાં બેલેટ પેપરના નામે લોકોના અધિકારો લૂંટવામાં આવ્યા હતા. તેમની સરકારમાં ચૂંટણીમાં મત લૂંટાય છે. એટલા માટે તેઓ ઈવીએમને હટાવવા માગે છે. I.N.D.I.A. ગઠબંધનના દરેક નેતાએ ઈવીએમ અંગે લોકોના મનમાં આશંકા પેદા કરવાનું પાપ કર્યું છે. સુપ્રીમ કોર્ટે લોકોને આ રીતે ફટકાર લગાવી હતી. વિપક્ષે માફી માગવી જોઈએ.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે જ્યારે આખી દુનિયા ભારતની લોકશાહી, ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણીમાં ટેક્નોલોજીના ઉપયોગના વખાણ કરે છે ત્યારે આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ઈવીએમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓએ લોકશાહી સાથે દગો કરવાનો સતત પ્રયાસ કર્યો છે. ચૂંટણી વખતે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ.