બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કોરોના વેક્સિન કોવિશીલ્ડની આડ અસરોને ધ્યાનમાં રાખીને વેક્સિન પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત આ વેક્સિનનું ઉત્પાદન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટએ કહ્યું કે ડિસેમ્બર 2021માં વેક્સિનની માંગમાં ઘટાડો થયો હતો તેથી કંપનીએ તેનું ઉત્પાદન અને સપ્લાય બંધ કરી દીધો હતો. બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરના દેશોમાંથી તેની કોરોના વેક્સિન વેક્સજેવરિયાનો સ્ટોક પાછો મંગાવ્યો છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારતમાં કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન કર્યું હતું અને તેને બજારમાં ઉપલબ્ધ કરાવ્યું હતું. સીરમ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે અમે 2021માં વેક્સિન સપ્લાયની શરૂઆતમાં પેકેજિંગ ઇન્સર્ટમાં થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ સહિત વેક્સિનની તમામ આડઅસરો વિશે ખુલાસો કર્યો હતો, પરંતુ એસ્ટ્રાઝેનેકા દ્વારા એમ સ્વીકારાયા બાદ કે કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ શરીરમાં લોહીના ગઠ્ઠાં જામવા લાગે છે તેનાથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં આ વેક્સિન બનાવી રહી હતી ભારતમાં જે વેક્સિન બનાવવામાં આવી રહી હતી તેનું નામ કોવિશીલ્ડ હતું અને આ દવા એ જ ફોર્મ્યુલા અનુસાર બનાવવામાં આવી હતી જેમાંથી વેક્સજેવરિયા બનાવવામાં આવે છે.એસ્ટ્રાઝેનેકાએ વેક્સિન પાછી ખેંચી લીધી છે, પરંતુ સીરમ ઈન્સ્ટિટ્યૂટે હજુ સુધી રસી પાછી ખેંચવાનો નિર્ણય લીધો નથી. એસ્ટ્રાઝેનેકાએ વેક્સિનનું અપડેટેડ વર્ઝન માર્કેટમાં લોન્ચ કર્યું છે અને જૂના વર્ઝનનો સ્ટોક પાછો મંગાવ્યો છે. કંપનીએ અગાઉ 5 માર્ચે વેક્સજેવરિયાને બજારમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ આદેશ 7 મેના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.