ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા પ્રમુખ અને અન્ય ચારને હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. રણજીત સિંહ હત્યા કેસમાં પાંચેય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટ દ્વારા આપેલા આજીવન કેદના નિર્ણયને રદ કરતા નિર્દોષ જાહેર કર્યો છે. આ પહેલા સીબીઆઈ કોર્ટે રણજીત સિંહ હત્યા કેસમાં ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. ગુરમીત રામ રહીમ પોતાની બે વિદ્યાર્થીનીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. 2021 માં ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાનું કાવતરું ઘડવા માટે અન્ય ચાર સાથે ડેરા પ્રમુખને પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
વર્ષ 2002માં ડેરાની મેનેજમેન્ટ કમિટીના સભ્ય રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ડેરા મેનેજમેન્ટને શંકા છે કે રણજિત સિંહે સાધ્વીના યૌન શોષણનો અનામી પત્ર તેની બહેન પાસે લખાવ્યો હતો. પોલીસ તપાસથી અસંતુષ્ટ રણજીત સિંહના પુત્રે 2003માં હાઈકોર્ટમાં અરજી કરીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. આ પછી, કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો અને 2021 માં રામ રહીમ સહિત પાંચ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા. આ કેસમાં કોર્ટે 2007માં આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા.