મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપીને જેલમાં કેદીઓએ એટલો બધો માર માર્યો કે તેનું મોત થઈ ગયું. વિગતો મુજબ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના એક દોષિતને કોલ્હાપુરની કલમ્બા જેલમાં માર મારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ 59 વર્ષીય મોહમ્મદ અલી ખાન ઉર્ફે મુન્નાને પાંચ કેદીઓએ એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું. પોલીસે આ માહિતી આપી હતી. મુન્નાએ પોતાનું નામ મનોજ કુમાર ભવરલાલ ગુપ્તા પણ રાખ્યું હતું. પોલીસે જણાવ્યું કે, કેદીઓએ તેના પર કોંક્રીટની બનેલી ડ્રેનેજ ચેમ્બરના ઢાંકણ વડે હુમલો કર્યો હતો. આ ઘટના રવિવારે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી.
જેલ ડીઆઈજી સ્વાતિ સાઠેએ જણાવ્યું હતું કે, 59 વર્ષીય મુન્ના ઉર્ફે મોહમ્મદ અલી ખાન પર બાથરૂમમાં નહાવાને લઈને અન્ય કેદીઓ સાથે ઝઘડો થયા બાદ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ખાન હુમલાનું કારણ શું હતું તે જાણી શકાયું નથી. ખાન મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આ દરમિયાન માથાકૂટ વચ્ચે કેટલાક અન્ડરટ્રાયલ કેદીઓએ ગટરની ઉપરથી લોખંડની જાળી ઉપાડી અને તેનાથી ખાનને માથા પર માર્યો જેના પછી તે જમીન પર પડ્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટના બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હુમલાખોરોની ઓળખ પ્રતિક ઉર્ફે પિલ્યા સુરેશ પાટીલ, દીપક નેતાજી ખોટ, સંદીપ શંકર ચવ્હાણ, ઋતુરાજ વિનાયક ઇનામદાર અને સૌરભ વિકાસ તરીકે કરવામાં આવી છે. કોલ્હાપુર પોલીસે પાંચ લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. અધિકારીએ કહ્યું કે, ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા હતા અને 1000થી વધુ ઘાયલ થયા હતા.