રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટાટ-ટેટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં આક્રમક બનીને ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલના 24 જ કલાકમાં રાજ્ય સરકારે 7500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. જો કે, 1.18 લાખ બેકાર ટાટ પાસ ઉમેદવારો સામે 7500 શિક્ષકોની જ ભરતી કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા સંદર્ભે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તથા ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT-Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતીપ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
વધુ વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઈન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઈન-એડ શાળામાં 3250 એમ મળીને TAT-2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સિપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લાં 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.