મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા છે, તેથી હવે મંત્રીમંડળના વિસ્તરણની સંભાવના પાક્કી થઇ ગઇ છે. આગામી રથયાત્રાના તહેવાર બાદ દસથી વીસ જુલાઇની વચ્ચે ગમે ત્યારે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી શકે છે. હાલ તેમના મંત્રીમંડળમાં રહેલાં આઠ સભ્યો પડતાં મુકાઇ શકે છે, જ્યારે નવાં દસ સભ્યો લેવાઇ શકે છે. પડતા મુકાનારાં મંત્રીઓમાં 6 કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોઇ શકે છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાના બે મંત્રીઓને પ્રમોશન મળતાં તેઓ કેબિનેટ કક્ષાના મંત્રીઓ બનશે. રાજ્યકક્ષાના વર્તમાન ચાર મંત્રીઓ કપાતાં તેમાં છથી સાત નવાં ચહેરાં આવી શકે છે.
સરકારના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાછલા કેટલાક દિવસોમાં તમામ મંત્રીઓને નવા કોઇ કામ હાથ પર ન લેવા જણાવી દેવાયું છે. આ સિવાય મંત્રીઓના નિવાસસ્થાન વિસ્તારમાં આવેલા કેટલાંક વણવપરાયેલાં બંગલામાં પણ ઘણાં સમયથી સમારકામ ચાલી રહ્યું છે. નવાં મંત્રીમંડળની શપથવિધી 17 કે 18 જૂલાઇના રોજ થઇ શકે છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન મંત્રીઓ પૈકી કનુ દેસાઇ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત, ભાનુ બાબરિયા અને કુબેર ડિંડોરનું મંત્રીપદ જઇ શકે છે. તેને સ્થાને નવાં કેબિનેટ મંત્રીઓમાં જયેશ રાદડિયા, રમણલાલ વોરા, અર્જૂન મોઢવાડિયા, જીતુ ચૌધરી, સી. જે. ચાવડા, હીરા સોલંકી, નિમિષા સુતાર સહિતના ધારાસભ્યોને તક મળી શકે છે. રાજ્યકક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિ કપાઇ શકે છે, તેમના સ્થાને ઇશ્વરસિંહ પટેલ, માનસિંહ ચૌહાણ, પી.સી. બરંડા, અમિત ઠાકર, રિવાબા જાડેજા અને ભગવાનજી કરગટિયાના નામો આવી શકે છે.
5 જૂલાઇએ પ્રદેશ કારોબારીમાં નવાં ભાજપ પ્રમુખની જાહેરાત થઇ જશે?
આગામી 4 અને 5 જૂલાઇએ ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના પ્રાંગણમાં યોજાવા જઇ રહી છે. આ બેઠકમાં માત્ર કારોબારીમાં સામાન્યતઃ અપેક્ષિત લોકો સિવાય તાલુકા અને વોર્ડ લેવલના કાર્યકરોને પણ બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં ભાજપના નવા પ્રમુખની જાહેરાત થઇ જશે તેવું ભાજપના સૂત્રો જણાવી રહ્યાં છે. આ માટે જ પાર્ટીએ આ બેઠકમાં વધુ નેતાઓને આમંત્રિત કર્યાં છે.