વિધાન પરિષદની 11 બેઠકો માટે આજે એટલે કે શુક્રવારે મતદાન થવાનું છે. ચૂંટણીમાં 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં છે. એવામાં કોઈપણ એક પક્ષના ઉમેદવારને હારનો સામનો કરવો પડશે. વિધાનસભાના સભ્યો વિધાન ભવન સંકુલમાં એકઠા થશે, જ્યાં સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. સાંજે 5 કલાકે મતગણતરી કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો છે. વિધાનસભામાં હાલની સ્ટ્રેન્થ 274 છે. એવામાં વિધાનસભા પરિષદની એક સીટ જીતવા માટે કુલ 23 વોટ હોવા જોઈએ. રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહના 11 સભ્યો 27 જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની જગ્યા ભરવા માટે આ ચૂંટણીઓ યોજાઈ રહી છે.
વિધાનસભામાં ભાજપ પાસે 103 ધારાસભ્યો છે, જ્યારે શિવસેના શિંદે જૂથના 38, NCP અજિત પવાર 42, કોંગ્રેસ 35, શિવસેના ઠાકરે જૂથ 15, NCP શરદ પવાર 10, બહુજન વિકાસ અઘાડી 3, સમાજવાદી પાર્ટી, AIMIM પ્રહાર જનશક્તિ પાર્ટીના 2-2 ધારાસભ્યો છે. સ્વાભિમાની પાર્ટી, MNS, રાષ્ટ્રીય સમાજ પાર્ટી, ક્રાંતિકારી શેતકરી પાર્ટી, શેતકરી કામદાર પાર્ટી અને જનસુરાજ્ય શક્તિ પાર્ટી પાસે 1-1 ધારાસભ્ય છે. આ સિવાય 13 અપક્ષ ધારાસભ્યો છે.
નાયબ મુખ્ય મંત્રી અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તેના ધારાસભ્યોને એરપોર્ટની નજીકની ફાઇવ સ્ટાર હોટલમાં રાખ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના ધારાસભ્યો બુધવારે સવારે એક બેઠક માટે વિધાનસભા ભવન ખાતે એકઠા થયા અને પછી બાંદ્રાની એક ફાઇવ સ્ટાર હોટલમાં ગયા.