ગોવાના દરિયાકિનારે કાર્ગો જહાજમાં લાગેલી આગને ઓલવવાનું કામ હજુ ચાલુ છે. આ આગ 19 જુલાઈના રોજ લાગી હતી, જેને ઓલવવા માટે ભારતીય નૌકાદળ સતત છ દિવસથી કામગીરી કરી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડના એક અધિકારીના જણાવ્યા અનુસાર જહાજમાં 22 ક્રૂ મેમ્બર હતા, જેમાંથી એકનું મોત થયું છે.
હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને હવે કોઈના જીવને જોખમ નથી, પરંતુ ક્રૂની સલામતી માટે અને છૂટાછવાયા આગને સંપૂર્ણપણે બુઝાવવા માટે નૌકાદળ સતત છઠ્ઠા દિવસે બચાવ કામગીરી ચાલુ રાખી રહ્યું છે. આગને કાબૂમાં લેવા માટે કોસ્ટ ગાર્ડ ALH હેલિકોપ્ટરની મદદથી 200 કિલો ડ્રાય કેમિકલ પાઉડર સીધો ફાયર સાઇટ પર છોડવામાં આવ્યો છે.
આ જહાજ 1,154 કન્ટેનર લઈને ગુજરાતના મુંદ્રાથી શ્રીલંકાના કોલંબો જઈ રહ્યું હતું. દરમિયાન, જ્યારે આ જહાજ ગોવાના કિનારેથી 102 નોટિકલ માઇલ દૂર પહોંચ્યું હતું, ત્યારે તેમાં આગ લાગી હતી. આ જહાજમાં બેન્ઝીન અને સોડિયમ સાયનેટ જેવા ખતરનાક કાર્ગો રાખવામાં આવ્યા હતા.