સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ત્યારે હવે કર્ણાટકના માંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન ભક્તો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારા બાદ શહેરની શાંતી ભંગ થઇ છે. બે જૂથો વચ્ચે લડાઇ બાદ શહેરમાં તોડફોડ અને આગચંપીની ઘટના સામે આવી છે. જો કે, ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે હાલ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટના માંડ્યા જિલ્લાના નાગમંગલા વિસ્તારમાં બની હતી. ઘટના એવી છે કે, બદરીકોપ્પલુ ગામના યુવકો ગણેશ વિસર્જન માટે સરઘસ નીકાળી રહ્યા હતા, આ સરઘસ જ્યારે એક મસ્જિદ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મસ્જિદ પાસેથી અચાનક લોકોએ સરઘસ પર પથ્થરમારો કર્યો હતો.
પથ્થરમારો થયા બાદ પરિસ્થિતિ ધીમે-ધીમે વણસવા લાગી હતી અને બંને જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જે પછી તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી હતી. જો કે, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાના દળોને બોલાવવામાં આવ્યા છે. હિન્દુ સમુદાયના રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન પર પ્રદર્શન કર્યું અને ઘટના માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી.