ન્યૂયોર્કના મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર અને મંદિરની બહારના રસ્તા પર મોદી વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ અંગે વાંધો ઉઠાવ્યો છે. કોન્સ્યુલેટે કહ્યું છે કે અમે અમેરિકન લો એન્ફોર્સમેન્ટ સામે આ મુદ્દો ઉઠાવ્યો છે અને આ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પીએમ મોદી 22 સપ્ટેમ્બરે મેલવિલ નજીક નસાઉ આવશે. મેલવિલે લોંગ આઇલેન્ડના સફોક કાઉન્ટીમાં છે. તે 16,000-સીટ નસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી આશરે 28 કિલોમીટર દૂર છે. આ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધન કરવાના છે.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું હતું જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે આ હુમલાની તપાસ કરવી જોઈએ, કારણ કે હાલમાં જ હિન્દુ સંસ્થાઓને ધમકીઓ મળી છે અને આ સપ્તાહના અંતમાં નજીકના નસાઉ કાઉન્ટીમાં ભારતીય સમુદાય દ્વારા એક મોટો કાર્યક્રમ યોજાનાર છે.
ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુહાગ શુક્લાએ X પર જણાવ્યું હતું કે એ સંજવું મુશ્કેલ છે કે વ્યક્તિ એટલી કાયર કેવી રીતે હોઈ શકે? કે ચૂંટાયેલા નેતા સામે ધિક્કાર વ્યક્ત કરવા માટે હિન્દુ મંદિર પર હુમલો કરવા જેવું કામ કરે. જે રીતે હિન્દુ અને ભારતીય સંસ્થાઓને હાલમાં જ ધમકીઓ આપવામાં આવેલ બાદ આ હુમલાને એ જ સંદર્ભમાં જોવો જોઈએ