ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યના 110 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો. સોનરખ નદીમાં પાણીનો પ્રવાહ વધતા દામોદર કુંડમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો. રવિવારે વહેલી સવારથી જૂનાગઢ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી. જોકે, સાંજના 6 વાગ્યા બાદ મેઘરાજાએ સટાસટી બોલાવતાં કાળવાનો વોકળો પણ બે કાંઠે વહેતો થયો હતો. ધોધમાર વરસાદના પગલે જૂનાગઢના ગિરનાર પરથી પાણીના ધોધ વહેતાં દામોદર કુંડનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દામોદર કુંડના પૂલ સુધી પાણી પહોંચી ગયું હતું. બીજી તરફ ગઢડા તાલુકાના પીપરડી ગામે નદીમાં ઘોડાપૂર આવતા પીપરડીથી ઈંગોરાલા જવાનો રસ્તો થયો બંધ થયો હતો.