ચંદ્ર મિશન અને ઉપગ્રહોની છબીઓનું વિશ્લેષણ કરતા વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે ચંદ્રયાન-3 ચંદ્ર પરના સૌથી જૂના ક્રેટર્સમાંથી એક પર ઉતર્યું છે. વૈજ્ઞાનિકોની ટીમમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો), અમદાવાદના સંશોધકો પણ સામેલ છે.ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનમાં એસોસિયેટ પ્રોફેસર એસ વિજયને જણાવ્યું હતું કે, આ ક્રેટર 3.85 અબજ વર્ષ પહેલાં નેક્ટરિયન સમયગાળા દરમિયાન બન્યો હતો. નેક્ટેરિયન સમયગાળો એ ચંદ્રના ઇતિહાસમાં સૌથી જૂના સમયગાળો પૈકીનો એક છે.
એસ વિજયને ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઈટ એક અનોખી ભૂસ્તરશાસ્ત્રીય સ્થિતિ છે. આ પહેલા અન્ય કોઈ મિશન ત્યાં ગયા નથી. ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવર દ્વારા લેવામાં આવેલી તસવીરો આ અક્ષાંશ પર ચંદ્રની પ્રથમ તસવીરો છે. ફોટા દર્શાવે છે કે સમય સાથે ચંદ્ર કેવી રીતે બદલાયો છે. ભારતે 14 જુલાઈ, 2023 ના રોજ બપોરે 3:35 વાગ્યે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી ચંદ્રયાન-3 લોન્ચ કર્યું. 22 દિવસ પછી, 5 ઓગસ્ટે, તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ચંદ્રયાન-3 તેના પ્રક્ષેપણના 41મા દિવસે 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતર્યું હતું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે.