ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે મંગળવારે કમલમ્ પર પક્ષના વર્તમાન અને ભૂતપૂર્વ ધારાસભ્યો તથા સાંસદોને સ્નેહમિલન માટે બોલાવ્યા હતા. પાટીલે અહીં પરોક્ષ રીતે પોતાની ફેરવેલ પાર્ટી હોવાનો સંકેત આપી દીધો. અહીંથી મંચ પરથી પાટીલે કહ્યું કે, દિવાળી બાદ નવેમ્બર માસમાં સંગઠન પર્વની વિધિવત્ કાર્યવાહી શરૂ થતા સૌ પ્રથમ મંડળ સ્તરે નવા સંગઠનની રચના શરૂ કરવામાં આવશે. જે ક્રમશ: ઉપરની દિશામાં ગતિ કરશે. અર્થાત્ દિવાળી પછી ગમે ત્યારે પાટીલના અનુગામી તરીકે નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થઈ શકે છે. આ સાથે ગુજરાત ભાજપનું આખું સંગઠન માળખું બદલાઈ જશે તે નિશ્ચિત છે. આ બેઠકમાં પાટીલે પક્ષના ધારાસભ્યો અને સાંસદોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યાને 23 વર્ષ પૂર્ણ થયા તે બાબતે પ્રચાર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત આગામી સમયમાં આવી રહેલી પાલિકા-પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ વિજય મેળવશે તેમ કહ્યું. આ ચૂંટણી નવા અધ્યક્ષના નેતા પદે યોજાશે.
ગુજરાત ભાજપે શરૂ કરેલા સદસ્યતા અભિયાનમાં ટેકનિકલ ખામીઓને કારણે સભ્ય નોંધણીમાં મુશ્કેલીઓ નડી રહી છે. તે સિવાય લોકો કાર્યકરોને ઓટીપી નંબર આપતા ન હોવાથી પ્રક્રિયા પૂરી થઈ શકતી નથી. આ ખામીઓને ધ્યાને લઈ ભાજપ ઓફલાઈન પદ્ધતિથી પણ સભ્યો નોંધશે.
કાર્યકરોને ચૂંટણીની માફક ડોર ટુ ડોર સંપર્ક કરી સભ્ય નોંધવા સૂચના
કમલમ્ પર મળેલી બેઠકમાં સદસ્યતા અભિયાનમાં ગુજરાતની પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, તકનીકી ખામીઓ હોવા છતાં માત્ર 1 મહિનામાં 1 કરોડ સભ્યો નોંધાયા છે. ગઈ વખતે છ મહિના ચાલેલા સદસ્યતા અભિયાન બાદ 1.18 કરોડ સભ્યો નોંધાયા હતા. તે જોતાં આ વખતે ઝડપ સારી છે. જો કે પાટીલે જણાવ્યું હતું કે, પાર્ટી તેના 2 કરોેડથી વધુ સભ્યો નોંધવાના સંકલ્પને પડતો મૂકવાની નથી. આ માટે સદસ્યતા અભિયાન વધુ 1 મહિના માટે લંબાવવાની જાહેરાત કરાઈ છે. તે સિવાય ગુજરાત ભાજપ ઓફલાઈન પદ્ધતિથી સભ્ય નોંધવાની હોવાથી કાર્યકરોને ચૂંટણીની માફક ડોર ટુ ડોર સંપર્ક કરી પ્રયત્નો વધારવાની સૂચના અપાઈ છે. પ્રાથમિક સભ્યો નોંધાઈ જાય પછી કાયમી સભ્યો નોંધવા માટેની પ્રક્રિયા શરૂ થશે. જેમાં હાલ નોંધાયેલા સભ્યોએ ફરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.