માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી કરતી સ્પેશિયલ NIA કોર્ટને બોમ્બની ધમકી મળી છે. એક સરકારી વકીલે મંગળવારે જણાવ્યું કે 30 ઓક્ટોબરે કોર્ટની રજિસ્ટ્રાર ઓફિસમાં એક ફોન કોલ આવ્યો હતો. ફોન કરનારે કહ્યું, કેસની સુનાવણી કરી રહેલા કોર્ટ રૂમ નંબર 26 પર બોમ્બથી હુમલો કરવામાં આવશે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આ કેસની સુનાવણી દક્ષિણ મુંબઈની સિવિલ કોર્ટમાં ચાલી રહી છે.
અહીં, સ્પેશિયલ NIA કોર્ટે સુનાવણીમાં હાજર ન રહેવા બદલ કેસમાં આરોપી નંબર વન બીજેપી નેતા પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. પ્રજ્ઞાએ 4 જૂનથી તબીબી સ્થિતિને ટાંકીને કોર્ટની કાર્યવાહીમાં ભાગ લીધો નથી. મંગળવારે સ્પેશિયલ જજ એકે લાહોટીએ ઠાકુર સામે રૂ. 10,000નું જામીનપાત્ર વોરંટ જારી કરતા કહ્યું કે અંતિમ દલીલો ચાલી રહી છે અને આરોપીનું કોર્ટ રૂમમાં હોવું જરૂરી છે. વોરંટ 13 નવેમ્બર સુધી પરત કરી શકાય તેવું છે, જેનો અર્થ છે કે ઠાકુરે ત્યાં સુધીમાં કોર્ટમાં હાજર રહેવું પડશે અને તેને રદ કરાવવું પડશે.
જસ્ટિસ લાહોટીએ જણાવ્યું હતું કે બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાના આધારે મુક્તિ માટેની તેમની અગાઉની અરજીઓ સમયાંતરે ધ્યાનમાં લેવામાં આવી હતી. આજે પણ અરજી સાથે મેડિકલ સર્ટિફિકેટની ફોટોકોપી પણ દાખલ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે તેણી આયુર્વેદિક સારવાર કરાવી રહી છે, પરંતુ અસલ પ્રમાણપત્ર ત્યાં નથી. તેથી કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.