ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં વડનગર ખાતે દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે સંગીતનો અનોખો મહોત્સવ તાનારીરી મહોત્સવ ઉજવવામાં આવે છે. આ તાનારીરી મહોત્સવ-2024નો આજરોજ તાનારીરી ગાર્ડન ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, વડનગર ખાતે દર વર્ષે કારતક સુદ નોમના દિવસે વર્ષ 2003 થી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તાનારીરી મહોત્સવની શરૂઆત કરાવી હતી. આપણી સંસ્કૃતિ વિકાસની ગાથાઓ ઇતિહાસના દસ્તાવેજી પાનાઓમાં સચવાય છે અને સદાય જીવંત રહી છે, આવી જ સંસ્કૃતિ વડનગરની રહી છે. આ વડનગરમાં હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ, કિર્તી તોરણ, પ્રેરણા સ્કૂલ જેવા સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
વડનગરમાં ચાલતા વિવિધ વિકાસ પ્રોજેક્ટ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે વડનગરનો વિકાસ અત્યારે ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. વડનગરમાં વિકાસના અનેક પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે. વડનગરના વધુ વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. વડનગરના ગૌરવને પુનઃ સ્થાપિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી અનેક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે.
આ પ્રસંગે આ પ્રસંગે નીરજ પરીખ, અમી પરીખ કુ. મૈથિલી ઠાકુર અને ઓસમાણ મીરને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.. આ મહોત્સવમાં નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ, કુ. મૈથિલી ઠાકુર તેમજ જાણીતા લોકગાયક ઓસમાણ મીરે સુરો થકી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.