ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAYના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના નામે કૌભાંડ કરવા કુખ્યાત છે. અગાઉ 2022માં પણ સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા અને ત્રણ દર્દીને સ્ટેન્ટ મુક્તા એક દર્દીનું મોત થયું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી.
કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવારની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખી અને તેમાના 2 દર્દીના મોત થઈ ગયા છે અને 5 દર્દી હાલ ICUમાં દાખલ છે.પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. નીતિન પટેલ દ્વારા સમગ્ર બાબતે માહિતી મેળવવામાં આવી રહી છે. હાજર ગ્રામજનો દ્વારા અવારનવાર પોલીસ સહિતના સાથે બોલાચાલી થઈ રહી છે.
ઘટનાને પગલે ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ પહોંચી તોડફોડ કરી હતી. બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ આ સમગ્ર બાબતે માહિતી મેળવવા માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા.ગઈકાલ સાંજથી જ ખ્યાતિ હોસ્પિટલમાં કોઈપણ જવાબદાર ડોક્ટરો હાજર નથી. હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો પણ હાજર નથી. માત્ર એક ડોક્ટર હાલ હોસ્પિટલમાં ICUમાં હાજર છે.
આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યાં
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરુરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.