ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ ભાગીદાર ડો. સંજય પટોળિયાની 24 દિવસ બાદ 4 ડિસેમ્બરે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. ડો. સંજય પટોળિયાને 10 દિવસના રિમાન્ડની માગ સાથે ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડમાં પ્રાથમિક પુછપરછમાં ત્રણ વર્ષ દરમિયાન 8534 દર્દીઓની સારવારમાં 112 દર્દીઓના મોત સહિત અનેક ખુલાસા સામે આવ્યા છે.
ક્રાઇમ બ્રાંચ ACP, ભરત પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે ક્રાઇમ બ્રાન્ચે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી એટલે કે ત્રણ વર્ષ દરમિયાન 8534 દર્દીઓ સારવાર લીધી હતી, જેમાં 3842 દર્દીની સરકારી યોજના હેઠળ સારવાર કરવામાં આવી હતી. કુલ લીધેલી સારવાર પૈકી અત્યાર સુધીમાં 112 દર્દીઓના મોત થયાં છે. 4 ડિસેમ્બરે હોસ્પિટલના ડિરેક્ટર સંજય પટોળિયાની ધરપકડ થઈ હતી સાથે જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોગ્ય વિભાગના ડોક્ટરોની પૂછપરછ કરી દસ્તાવેજો તપાસ્યા હતા. એટલું નહીં, પરંતુ સંજય પટોળિયાની ધરપકડ કર્યા બાદ હોસ્પિટલ નાણાકીય ખોટમાં હોવાનો ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો, જેમાં નાણાંકીય ભંડોળમાં 1.50 કરોડની ખોટ બતાવાઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આર્થિક નાણાંની હેરફેરને લઈને તપાસ કરવામાં આવી હતી. PMJAY યોજનામાં ટેન્ડર કંપની બજાજ આલિયાન્ઝ હતી, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સંજય પટોળીયાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ રિમાન્ડ માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે કે, ચાર ડિરેક્ટર પૈકી સંજય પટોળિયા મેડિકલ નિષ્ણાત થવાના કારણે તેની સઘન તપાસ જરૂરી છે. રેલ વિભાગ અને ONGC સહિત સરકારી અને અર્ધસરકારી સંસ્થાના કર્મચારીઓ પણ સારવાર માટે MOU થયા હતા.