વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. સોમવારે સવારે તેમના પરિવારે આ વાતની પુષ્ટિ કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર હુસૈન ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી પીડિત હતા.પરિવારે જણાવ્યું કે તેઓ છેલ્લા બે અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને ICUમાં દાખલ કર્યા હતા. ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા.
ઝાકિરનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી અને માતાનું નામ બીવી બેગમ હતું. ઝાકીરના પિતા અલ્લાહ રખા પણ તબલા વાદક હતા. ઝાકિર હુસૈને તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું.તેમણે પોતાનું ગ્રેજ્યુએશન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી કર્યું હતું. 1973માં તેમણે પોતાનું પહેલું આલ્બમ ‘લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ’ લોન્ચ કર્યું.
આ અગાઉ પત્રકાર પરવેઝ આલમે X (અગાઉના ટ્વિટર) પર ઝાકિર હુસૈનની એક તસવીર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, ‘તબલા વાદક, તાલ વાદક, સંગીતકાર, ભૂતપૂર્વ અભિનેતા અને મહાન તબલા વાદક અલ્લાહ રક્ખાના પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબિયત સારી નથી.’ જોકે બાદમાં તેમના નિધનના સમાચાર પણ ફેલાયા અને તેમની હાલત સ્થિર હોવાની જાણકારી અપાઈ પણ હવે તેમના પરિવારે નિધનની પુષ્ટી કરી દીધી છે.તેમના મૃત્યુના સમાચાર પણ રવિવારે મોડી રાત્રે આવ્યા હતા. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ તેમના નિધન અંગે એક પોસ્ટ શેર કરી છે. પરંતુ બાદમાં તેને ડિલીટ કરી હતી. આ પછી ઝાકીરની બહેન અને ભત્રીજા આમિરે ઝાકિરના નિધનના સમાચારને ખોટા ગણાવ્યા હતા.