ઉત્તર પ્રદેશના વારાણસીમાં લગભગ 10 હજાર દુકાનોને તોડી પાડવામાં આવશે. આ દુકાનો જથ્થાબંધ બજાર દાલમંડીની છે, જેને પૂર્વાંચલનું સિંગાપોર પણ કહેવામાં આવે છે. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે બાબા વિશ્વનાથ કોરિડોર માટે આવતા શ્રદ્ધાળુઓને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે.
દાલમંડી બજારથી લગભગ 150 મીટર દૂર કાશી વિશ્વનાથ કોરિડોરનું મુખ્ય પ્રવેશદ્વાર છે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 8 ફૂટના રોડને 23 ફૂટ પહોળો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 900 મીટરના રોડ પર 10 હજાર દુકાનોનો સર્વે કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત સૌપ્રથમ મહાનગરપાલિકાની ટીમ માપણી કરશે. આ પછી, ઘર અને દુકાન માલિકોને નોટિસ આપવામાં આવશે. માપણી પછી, મકાન અને દુકાનના માલિકોને તેમના બાંધકામને કાયદેસર કરવા માટે એક નિયત સમયમર્યાદા આપીને નોટિસ આપવામાં આવશે. નોટિસ બાદ આ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે.
20 ડિસેમ્બરના રોજ કમિશનર કૌશલ રાજ શર્માની અધ્યક્ષતામાં જિલ્લામાં નિર્માણાધીન છ રસ્તાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ રસ્તાઓની સ્થિતિ અને તેના નિર્માણ કાર્યની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન કમિશનરે દાલમંડી વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.