મણિપુરના ઈમ્ફાલ ઈસ્ટ અને કાંગપોકલી જિલ્લામાં ફાયરિંગ થઈ રહ્યું છે. લોકોના મતે મોર્ટાર પણ છોડવામાં આવી રહ્યા છે. કુકી અને મૈતઈ સમુદાયો વચ્ચે ફરી એકવાર હિંસા શરૂ થઈ ગઈ છે. સાંસાબી વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસકર્મી અને એક ગ્રામીણને ગોળી વાગી હતી.
પોલીસે જણાવ્યું કે, પોલીસકર્મીનું નામ કે. હરિદાસ (ઉં.વ.37). તેના ડાબા ખભા પર ગોળી વાગી હતી. જવાહરલાલ નહેરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં તેમની સારવાર ચાલી રહી છે. અન્ય એક ગ્રામીણ ઘાયલ છે, તેની સારવાર પણ ચાલી રહી છે.રિપોર્ટ અનુસાર, 24 ડિસેમ્બરથી બંને જિલ્લાના ઘણા વિસ્તારોમાં ચાલી રહેલી ગોળીબારમાં શુક્રવારે મોટો વળાંક આવ્યો હતો. આ જિલ્લાઓના યિંગંગપોકપી, થમનાપોકપી, થમ્બાપોકપી, સબુંગખોક ખુનૌ, શાંતિ ખોંગબલ, સાંસાબી અને અન્ય વિસ્તારોમાં ગભરાહટ છે.
યિંગંગપોકપીના ગ્રામવાસીઓએ અધિકારીઓને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની માગ કરી છે. લોકોના કહેવા પ્રમાણે, પહાડીઓથી મેદાનો સુધી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે, રાજ્યના સીએમ એન બિરેન સિંહે કહ્યું હતું કે, રાજ્યના સુરક્ષા સલાહકાર અને ડીજીપીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં સુરક્ષા વધારવા માટે સૂચના આપવામાં આવી છે. 25 ડિસેમ્બરે સીએમએ કહ્યું હતું કે, મણિપુરમાં તાત્કાલિક શાંતિની જરૂર છે. બંને સમુદાયો (કુકી-મૈતઈ) વચ્ચે પરસ્પર સમજણ બનાવો. અમે કોઈ ચોક્કસ સમુદાયના વિરોધમાં નથી.