હજીરા ખાતે આવેલી એએમએનએસ કંપનીમાં મંગળવારે સાંજે ધડાકાભેર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનામાં લીફ્ટમાં ફસાઈ ગયેલા ચાર કામદારોનું ઘટના સ્થળે જ આગમાં ભડથું થઈ જતાં મોત નીપજ્યું હતું. આગની મોટી દુર્ઘટના છતા કંપની દ્વારા હજીરા નોટીફાઈડ કે સુરત ફાયરબ્રિગેડને જાણ પણ કરવામાં આવી ન હતી. કંપની દ્વારા સમગ્ર પ્રકરણ પર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.
હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ એન્ડ નિપોન સ્ટીલ કંપનીમાં મંગળવારે મોડી સાંજે ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં મંગળવારે સાંજે 6:00 વાગ્યાના અરસામાં આગ આ ઘટના બની હતી. આ પ્લાન્ટમાં લીક્વીડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે. ટુયેર પ્લેટફોર્મમાં રો મટીરીયલ્સની ટ્યુબ ફાટી જતા તેમાંથી ગરમ રો મટીરીયલ નીકળી લિફ્ટમાં જતા લીફ્ટમાં સવાર અડાજણના રહેવાસી જીગ્નેશ દિલીપકુમાર, વ્યારા જવાહર ફળીયાના રહેવાસી ધવલકુમાર નરેશભાઈ, મહુવાના રહેવાસી સંદિપકુમાર અશોકભાઈ પટેલ અને સેગાવ દશરા નગરના રહેવાસી ગણેશ સુરજ બુધ નહી મળી આવતા તેઓ આગમાં ભડથું થઈ જતા મોતને ભેટ્યા છે. કંપની દ્વારા પોલીસથી પણ સમગ્ર ઘટના છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. દુર્ઘટનાના કલાક દોઢ કલાક બાદ પોલીસને ઘટનાની જાણ થતા હજીરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.