હરિયાણા-પંજાબની ખનૌરી બોર્ડર પર 38 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત દલ્લેવાલને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે પંજાબ સરકાર પર ફરી કડક વલણ દાખવ્યું હતું. કોર્ટે કહ્યું કે, પરિસ્થિતિને વધુ ખરાબ કરવાના ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમે ક્યારેય ઉપવાસ તોડવાનું કહ્યું નથી. કોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવતા કહ્યું કે તમારું વલણ સમાધાન લાવવાનું નથી. કેટલાક કહેવાતા ખેડૂત આગેવાનો બેજવાબદાર નિવેદનો કરી રહ્યા છે.
આ કેસમાં દલ્લેવાલના મિત્ર એડવોકેટ ગુનિન્દર કૌર ગિલે પક્ષ બનાવવા માટે અરજી દાખલ કરી હતી. આના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું, કૃપા કરીને ટકરાવ વિશે ન વિચારો, અમે ખેડૂતો સાથે સીધી વાત કરી શકીએ નહીં.કોર્ટે એમ પણ કહ્યું કે અમને દલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ કરવા માટેના આદેશના અનુપાલન રિપોર્ટની જરૂર છે. સુનાવણી દરમિયાન પંજાબના DGP અને મુખ્ય સચિવ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહ્યા હતા.હવે 6 જાન્યુઆરી (સોમવાર)ના રોજ દલ્લેવાલ કેસ અને હરિયાણા સરકાર દ્વારા શંભુ બોર્ડર ખોલવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થશે.
આ પહેલા 30 ડિસેમ્બરે થયેલી સુનાવણીમાં કોર્ટે પંજાબ સરકારને દલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ કરવા માટે 3 દિવસનો સમય આપ્યો હતો. આ દરમિયાન પંજાબ સરકારે કહ્યું હતું કે, મધ્યસ્થીએ અરજી કરી છે કે જો કેન્દ્ર દખલ કરે તો દલ્લેવાલ વાતચીત માટે તૈયાર છે. જે બાદ સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની સમય માંગતી અરજીને સ્વીકારી લીધી હતી. બુધવારે પંજાબ પોલીસના અધિકારીઓએ ખેડૂતો સાથે સતત બેઠકો કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાતચીત સારા વાતાવરણમાં થઈ હતી. બીજી તરફ, ડોક્ટરો દ્વારા જારી કરાયેલા મેડિકલ બુલેટિન મુજબ, દલ્લેવાલને બોલવામાં પણ તકલીફ પડી રહી છે.