વાયનાડ: પ્રિયંકા ગાંધીના સંસદીય મતવિસ્તાર કેરલના વાયનાડના કેટલાક ભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સવારે 6 વાગ્યાથી 48 કલાક માટે આ કર્ફ્યું લાગુ થશે. કર્ફ્યુ લાદવાનું કારણ છે નરભક્ષી બનેલા વાઘનો ડર. અહીં એક વાઘે એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. હવે વાઘને પકડવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. વહીવટીતંત્રે સાવચેતીના પગલા ભરતા ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દીધો છે.
વાયનાડમાં રવિવારે એક વાઘે 47 વર્ષીય ખેતરમાં કામ કરી રહેલી શ્રમિક મહિલા પર હુમલો કર્યો હતો, જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના અંતિમ સંસ્કાર બાદ સ્થાનિક લોકો વન અધિકારીઓના બેઝ કેમ્પની બહાર એકઠા થઇ ગયા અને વાઘને ઠાર કરવાની માંગ કરવા લાગ્યા. વન પ્રધાન એકે સસીન્દ્રને કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ત્યાર બાદ વાઘને નરભક્ષી જાહેર કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રએ મનન્થવાડી નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો હતો. સ્થાનિક લોકોએ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર પણ કર્યા.27 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી કેટલાક વિસ્તારોમાં 48 કલાક માટે કર્ફ્યુ લાદવામાં આવશે. અહેવાલો મુજબ હવે વાઘને મારવાની યોજના બનાવવામાં આવી રહી છે.