મહાકુંભમાં સોમવારે યોજાયેલી ધર્મ સંસદમાં પીએમ પાસે સનાતન બોર્ડની રચના કરવાની માગ કરવામાં આવી હતી. 13 અખાડા અને તમામ 4 શંકરાચાર્યોએ એમાં ભાગ લીધો નહોતો. ધર્મ સંસદમાં જગદગુરુ વિદ્યા ભાસ્કરે પીએમ મોદી પાસે સંસદમાં પૂજા અધિનિયમને નાબૂદ કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું- અમે આ સંબંધમાં સરકારને માગ પત્ર પણ મોકલી રહ્યા છીએ. સૂત્ર આપવામાં આવ્યું હતું – “સંભલ, મથુરા, વિશ્વનાથ, ત્રણેય લઈશું એકસાથે.”
ધર્મસંસદમાં 5 હજાર જેટલા સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જગદગુરુ શ્રીજી મહારાજ, જગદગુરુ વિદ્યા ભાસ્કર, જગદગુરુ વલ્લભાચાર્ય, ચિન્મયાનંદ બાપુ, સાધ્વી પ્રાચી, મહંત રાજુ દાસ, સાધ્વી સરસ્વતી, જગદગુરુ સૂર્યાચાર્ય વગેરે હાજર હતા. દેવકીનંદન ઠાકુરે કહ્યું- ઘણું સહન કર્યું, હવે સહન નહીં કરીએ. પોતાનો અધિકાર લઈને રહીશું. હિન્દુઓએ પાકિસ્તાન છોડી દીધું, તેમની જગ્યા ક્યાં ગઈ? જો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ બોર્ડ નથી, તો ભારતમાં વક્ફ બોર્ડ શું કરી રહ્યું છે?
અખાડાઓના બહિષ્કાર પર દેવકીનંદન ઠાકુરે કહ્યું, લોકોમાં એવી ચર્ચા હતી કે હું સનાતન બોર્ડનો પ્રમુખ બનવા માગું છું, તેથી જ હું આ બધું કરી રહ્યો છું. આજે હું સ્પષ્ટ કરવા માગું છું કે મારે કોઈ પદ કે પ્રતિષ્ઠા જોઈતી નથી. હું શપથ લઉં છું કે મને કોઈ પદની ઈચ્છા નથી. હું માત્ર સનાતનની રક્ષા કરવા માગું છું. દેવકીનંદન ઠાકુરે જગદગુરુ શ્રીજી મહારાજ અને જગદગુરુ વિદ્યા ભાસ્કરને એક એફિડેવિટ પણ સુપરત કરી હતી, જેમાં તેમણે પુનરુચ્ચાર કર્યો છે કે તેઓ સનાતન બોર્ડમાં કોઈ પદ લેશે નહીં.
દેવકીનંદન ઠાકુરે કહ્યું- સૌપ્રથમ વક્ફ બોર્ડે કુંભ સ્થળને પોતાની જમીન જાહેર કરી. અમને ડર છે કે વક્ફ બોર્ડ કહી દેશે કે આખું ભારત અમારું છે. મને કહો તો હિન્દુઓ ક્યાં જશે? એ દિવસે આપણું શું થશે? કયો દેશ આપણને આશરો આપશે? માત્ર ભારત જ છે, જ્યાં હિન્દુઓ જઈ શકે છે. હવે સમગ્ર ભારતને વક્ફ બોર્ડને સોંપવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારતમાં વક્ફ બોર્ડ શું કરી રહ્યું છે?