મહારાષ્ટ્ર સરકારે વધતા પ્રદૂષણને કારણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ડીઝલ-પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે રાજ્ય સરકારે 7 સભ્યોની કમિટી બનાવી છે, જે આગામી 3 મહિનામાં તેના સૂચનો રજૂ કરશે. 22 જાન્યુઆરીએ જાહેર કરાયેલા આદેશમાં નિવૃત્ત IAS અધિકારી સુધીર શ્રીવાસ્તવ કમિટીનું નેતૃત્વ કરશે. તેમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક, મહાનગર ગેસ લિમિટેડના MD, પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીના પ્રોજેક્ટ મેનેજર, સોસાયટી ઑફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના અધ્યક્ષ અને જોઈન્ટ ટ્રાન્સપોર્ટ કમિશનર સભ્ય હશે.
આદેશ મુજબ, આ કમિટી અભ્યાસ માટે પેનલમાં અલગ-અલગ એક્સપર્ટ્સને પણ સામેલ કરી શકશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પડોશી થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.9 જાન્યુઆરીના રોજ, એક PIL પર બોમ્બે હાઈકોર્ટે ક્વોલિટી લાઈફ અને પર્યાવરણની ગુણવત્તા પર નકારાત્મક અસરને કારણે મુંબઈ શહેરમાં વધતા ટ્રાફિક અને પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.હાઈકોર્ટે કહ્યું હતું કે વાહનોમાંથી નીકળતો ધુમાડો વાયુ પ્રદૂષણનું સૌથી મોટું કારણ છે. મુંબઈમાં વાહનોની સંખ્યા અને પ્રદૂષણને અંકુશમાં લેવાના હાલના પગલાં અપૂરતા સાબિત થઈ રહ્યા છે.
કોર્ટે કહ્યું હતું કે ડીઝલ અને પેટ્રોલ વાહનોને તબક્કાવાર બંધ કરવા યોગ્ય રહેશે કે કેમ તે અંગે સ્ટડી કરવાની જરૂર છે. કોર્ટે રાજ્ય સરકાર પાસે એક કમિટી બનાવવા અને 3 મહિનામાં ફિઝિબિલિટી રિપોર્ટ માંગ્યો હતો.