પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ પાસે ડૂબકી લગાવતા સુરતનો યુવક મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો. સંગમમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ પૂનમે ડૂબકી લગાવતા યુવક તણાયો હતો. જેની શોધખોળ સ્થાનિક ફાયર, NDRF સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સુરતથી મિત્ર સાથે મહાકુંભમાં નીકળેલા યુવકની 14 દિવસ બાદ પણ કોઈ ભાળ મળી નહોતી.
આ દરમિયાન પરિવાર દ્વારા બેસણું અને બારમું પણ કરી નાખ્યું છે. જોકે, પરિવારને છેલ્લી વાર યુવકનો ચહેરો જોવા મળે તેવી આશા રાખીને બેઠું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિવેણી સંગમમાં આ યુવક ડુબકી લગાવી રહ્યો હતો અને તેનો મિત્ર આ વીડિયો બનાવતો હતો. દરમિયાન જ યુવકનો પગ સ્લીપ થતા ડૂબી ગયો હતો અને ત્યાર બાદ તણાઈ ગયો હતો.
મૂળ અમરેલી જિલ્લાના મોટા લીલીયા તાલુકામાં પીપળવા ગામના વતની અને હાલ કતારગામ લલિતા ચોકડી પાસે આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા 32 વર્ષીય કમલેશ વિનુભાઈ વઘાસિયા પરિવાર સાથે રહેતો હતો. એથર કંપનીમાં કેમિકલ એન્જિનિયર તરીકે કામ કરી પત્ની, એક પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કમલેશે કંપનીમાં કામ કરતા સાથી કર્મચારી અક્ષય ચૌહાણ સાથે પ્રયાગરાજના મહાકુંભમાં ડૂબકી લગાવવાનું નક્કી કર્યું હતું.