નવી એરલાઇન રિયાધ એરના ચીફ એક્ઝિક્યુટિવ ટોની ડગ્લાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે એરલાઇનને છેલ્લા બે વર્ષમાં 14 લાખ નોકરીઓની અરજીઓ ભારતીયો તરફથી મળી છે. રિયાધ એરમાં નોકરી માટે અરજી કરનારાઓમાં ભારતીયો મોખરે છે.
ડગ્લાસે એરલાઇનમાં નોકરીઓ માટે અરજદારોની સંખ્યા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. રિયાદ એરમાં હાલમાં માત્ર 500નો સ્ટાફ જ છે, જેમાં 36 કેબિન ક્રૂ સભ્યો અને 36 પાઇલટોનો સમાવેશ થાય છે. સીઈઓએ કહ્યું કે ‘રિયાધમાં હવાઈ સેવાઓની ભારે અછત છે. દ્વિપક્ષીય હવાઈ સેવા કરારોના કિસ્સામાં કોઈ અવરોધો નથી. 2023માં ભારતથી સાઉદી અરેબિયા જતા પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. ડાયરેક્ટ ફ્લાઈટ માટે અમે ટૂંક સમયમાં અમારી ફ્લાઇટ્સ સેવા શરૂ કરીશું.’ રિયાધ સ્થિત આ એરલાઇન 2025ના અંતમાં કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા છે. તેણે બોઇંગ પાસેથી 72 બી787 વાઇડબોડી એરક્રાફ્ટ અને એરબસ પાસેથી 60 એ320 નીઓ નેરોબોડી એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે.