પ.બંગાળના નાદિયા જિલ્લામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યા અને 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. માહિતી અનુસાર પૂરપાટ દોડતી એસયુવી કારે એક પછી એક ત્રણ ઈ રીક્ષાને ફંગોળી નાખતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પોલીસ અને સ્થાનિકોના અહેવાલ અનુસાર એસયુવી ચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે કાર હંકારીને આવી રહ્યો હતો જેના કારણે તેની લપેટમાં ત્રણ ઈ રીક્ષા આવી ગયા હતા જેમાં પેસેન્જર પણ સવાર હતા. જેના કારણે મોટી કરુણાંતિકા સર્જાઈ અને સાત લોકો ઘટનાસ્થળે મૃત્યુ પામી ગયા હતા જ્યારે આઠ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી બેની હાલત હજુ ગંભીર છે એટલા માટે મૃત્યુઆંક પણ વધી શકે છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને ઘાયલોને તાત્કાલિક ધોરણે સ્થાનિકોની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે.