નિયમિત રીતે શાળામાં ન જનારા સીબીએસઇના વિદ્યાર્થીઓને ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવામાં આવશે નહીં તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ડમી શાળાઓેમાં પ્રવેશ લેવાની જવાબદારી વિદ્યાર્થીઓ અને માતા-પિતા સાથે સંકળાયેલી છે.
CBSEની તાજેતરની ગવર્નિંગ બોડીની મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આ નવા નિયમનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી કરવાની ભલામણ કરવામાં આવી છે.
ડમી શાળાઓ વિરુદ્ધ સન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે CBSE ડમી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસી ન શકે તે માટે સંબધિત પરીક્ષા કાયદાઓમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. ડમી શાળાઓના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં અને તેમને નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (એનઆઇઓએસ)ની પરીક્ષા આપવી પડશે.
બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બોર્ડની ઓંચિતી તપાસ દરમિયાન જે વિદ્યાર્થી શાળામાં હાજર નહીં હોય તેવા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. નિયમિત શાળામાં ગેરહાજરીની જવાબદારી પણ સંબધિત વિદ્યાર્થી અને તેના માતા-પિતાની છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડમી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપનારી શાળાઓ વિરુદ્ધ પણ બોર્ડની માન્યતા અને પરીક્ષા સંબધિત નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.