અમદાવાદ ખાતે 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે બિડિંગની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં મોટેરા પાસેઓલિમ્પિક ગેમ્સ માટેનાં સ્ટેડિયમ બનાવવાની તૈયારી પૂરજોશમાં શરૂ કરાઈ છે ત્યારે ગુજરાત સરકારે મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા ત્રણ આશ્રમોને નોટિસ ફટકારી છે. મોટેરાના આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ એ ત્રણ આશ્રમોને 140 એકર જમીન ખાલી કરાવવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે નોટિસ ફટકારી છે.
ગુજરાત સરકાર અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવી રહી છે કે જેમાં ઓલિમ્પિક ગેમ્સની કક્ષાના સ્ટેડિયમ હશે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની પાસે ઓલિમ્પિક વિલેજ કરવા કહી દેવાયું છે. આ 140 એકરમાંથી 85 ટકા જમીન તો આશારામ આશ્રમની જ છે. કુલ 140 એકર જમીનમાંથી આસારામ આશ્રમ પાસે લગભગ 120 એકર જમીન છે.
ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ઔડાના સીઈઓ અને અમદાવાદ જિલ્લા કલેક્ટરની ત્રણ સભ્યોની સમિતી જમીન સંપાદનનું વળતર નક્કી કરવા માટે બનાવી છે. આસારામ આશ્રમના કિસ્સામાં સરકાર કોઈ વળતર આપે એવી શક્યતા નથી કેમ કે આસારામ આશ્રમે મોટા ભાગે સરકારી જમીન પચાવી પાડીને આશ્રમ બનાવ્યો છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરે આસારામ આશ્રમને સરકારી જમીન પચાવી પાડીને ગેરકાયદેસર બાંધકામ કરવાનો આક્ષેપ મૂકીને નોટિસ પણ ફટકારી છે. આ ઉપરાંત આસારામ આશ્રમે ચેરિટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ધંધા માટે કરીને વિશ્વભંગ કર્યો હોવાનું પણ કલેક્ટરનો આક્ષેપ છે તેથી ઓસારામ આશ્રમને કોઈ વળતર ના આપવું જોઈએ એવો સમિતિનો મત છે. ગુજરાત સરકારે ઓલિમ્પિક્સના આયોજન માટે 650 એકર જમીનમાં વિશાળ કોમ્પલેક્સ બનાવવાનો ઓલિમ્પિક માસ્ટર પ્લાન બનાવ્યો છે. મોટેરા, સુઘડ, ભાટ અને કોટેશ્વર એમ ચાર ગામોની કુલ 650 એકર જમીનનું સંપાદન કરાશે.