મહારાષ્ટ્રના સતારામાં રિતેશ દેશમુખની આગામી ફિલ્મ ‘રાજા શિવાજી’ના શૂટિંગ દરમિયાન જાણીતા
નૃત્ય કલાકાર સૌરભ શર્મા નદીમાં ડૂબી ગયાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે
મહારાષ્ટ્રના સતારામાં સંગમ મહુલી મંદિર પાસે રિતેશ દેશમુખની ફિલ્મ રાજા શિવાજી ફિલ્મના એક
ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.
શૂટિંગ માટે આ સ્થળે એક સેટ બનાવવામાં આવ્યો હતો. સેટ પર શૂટિંગ પૂરું થયા પછી, કેટલાક નૃત્ય
કલાકારો નદીમાં તરવા ગયા હતા. આ સમય દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. હજુ સુધી ડાન્સર
સૌરભ શર્માની ભાળ મળી નથી.
સૌરભના ડૂબવાના સમાચાર મળતા જ રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા
અને સ્થાનિક અધિકારીઓએ ઘટના સ્થળ પર દોડ્યા હતા. તો બીજી તરફ તરવૈયાઓ, ડ્રોન અને સ્પીડ
બોટ સાથે મળીને સૌરભને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ અત્યાર સુધી તેનો કોઈ પત્તો લાગ્યો
નથી. હાલમાં, રિતેશ ફિલ્મનું શૂટિંગ બંધ કરી દીધું છે અને સૌરભના પરિવારને સંપૂર્ણ ટેકો આપી રહ્યા
છે. 24 કલાકથી વધુ સમય સુધી શોધખોળ કરવા છતાં, સૌરભ મળી શક્યો નહીં. પરંતુ હજુ સુધી
સૌરભના મૃત્યુની પુષ્ટિ થઈ નથી.