ગુજરાતમાં હજ યાત્રીઓની ફ્લાઈટનું નવું શેડ્યુલ જાહેર થયું છે. અમદાવાદથી ઉપડતી ફ્લાઇટનું આ શેડ્યુલ 2મેથી 30 મે સુધીનું જાહેર કરાયું છે. હજ યાત્રીઓ માટે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે હજ યાત્રિકો માટે ખર્ચમાં ઘટાડો અને હજના ક્વોટામાં વધારો થયો છે.
ગુજરાત રાજ્યના હજયાત્રીઓ માટે હજની ફ્લાઈટનું શિડયુલ આવી ગયું છે. 2 મે, 2025થી 30 મે, 2025 સુધી હજ યાત્રાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી રવાના થશે. આ વર્ષે ફ્લાઈટો હજ માટે અમદાવાદ એરપોર્ટથી રવાના થશે. જેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2023માં અમદાવાદથી હજ યાત્રાએ જતાં યાત્રિકોનો કુલ ખર્ચ રૂપિયા 3,72,824 હતો અને યાત્રિકોની સંખ્યા 9,000 હતી જ્યારે વર્ષ 2024માં કુલ ખર્ચ ઘટીને રૂપિયા 3,32,700 થયો અને યાત્રિકોની સંખ્યા વધીને 10,000 થઈ હતી. ચાલુ વર્ષ 2025માં કુલ ખર્ચ વધુ ઘટીને રૂપિયા 3,24,650 થયો અને યાત્રિકોની સંખ્યા વધીને 13,000 થઈ છે.
વર્ષ 2025માં હજ પર જવાનું આયોજન કરી રહેલા યાત્રાળુઓએ હવે વધુ કડક નિયમોનું પાલન કરવું પડશે, નહીં તો તેમને ભારે દંડ ચૂકવવો પડી શકે છે. સાઉદી અરેબિયા સરકારે 2025ની હજ યાત્રા માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ મુજબ જો કોઈ વ્યક્તિ સત્તાવાર પરવાનગી વિના હજ યાત્રા કરતો જોવા મળશે અથવા આવા વ્યક્તિઓને મદદ કરશે તો તેને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ યાત્રાળુ માન્ય પરમિટ વિના પકડાય છે, તો તેને ₹4.5 લાખ સુધીનો ભારે દંડ ભરવો પડી શકે છે. આ નિયમ એવા બધા વિઝાધારકોને પણ લાગૂ પડશે જેઓ સત્તાવાર પરવાનગી વિના નિર્ધારિત સમયગાળામાં મક્કા અથવા અન્ય પવિત્ર સ્થળોએ પ્રવેશવાનો પ્રયાસ કરે છે.