એકસાથે ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઇ રહ્યો છે. મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં 1 મીમીથી લઇ પોણા 7 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ભાવનગરના મહુવામાં સતત 6 કલાકમાં પોણા 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલીના લાઠીમાં અઢી ઇંચ, સાવરકુડલામાં સવા 2 ઇંચ, લીલીયા અને અમેરલીમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન અને કડાકા-ભડાકા સાથેના વરસાદના કારણે બે દિવસમાં 21 લોકોના મોત થયા છે. મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 17ના મોત થયા છે, જ્યારે 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ઉત્તર ગુજરાતમાં 3 વ્યક્તિ અને 45 પશુનાં મોત થયા છે.
ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, ખેરા, આણંદ, વડોદરા, ભરૂચ, ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 62-87 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારે વરસાદ સાથે ભારે વાવાઝોડા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વીજળી પડવાની સંભાવના પણ છે.ગુજરાતના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ જેમ કે, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દીવ, દમણ, દાદર અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સાથે વીજળી પડવાની સંભાવના 30-40% છે. બનાસકાંઠા, પાટણ, જુનાગઢ, પોરબંદર અને મોરબી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે વીજળી પડવાની સંભાવના પણ છે.