ગુરુવારે રાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા ડ્રોન – મિસાઈલ વોરના પગલે સમગ્ર રાજ્યને એલર્ટ કરી દેવાયું હતું. અમદાવાદથી ઉપડતી 6 ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ કરી દેવાઈ હતી. જ્યારે અમદાવાદથી ભૂજ જતી નમો ભારત રેપિડ ટ્રેનને આદિપુરમાં જ રોકી દેવાઈ હતી.
આ સાથે અમદાવાદ શહેર પોલીસ અને પોલીસની તમામ એજન્સીઓ તેમજ તમામ ઈમરજન્સી સેવાઓને સ્ટેન્ડ ટુ કરી દેવાઈ હતી. મોડી રાત સુધી ધમધમતા ખાણી પીણી બજાર તેમજ વાહનોની ચહેલ પહેલ વાળા મોટા ભાગના રસ્તા ઉપર સન્નાટો જોવા મળ્યો હતો. લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળીને ઘરમાં બેસીને ટીવી ઉપર યુદ્ધના સમાચાર જોતા નજરે પડયા હતા.
પાકિસ્તાને ગુરુવારે રાતે ડ્રોનથી કરેલા હુમલામાં ડ્રોન કચ્છ બોર્ડર સુધી આવ્યા હતા. જેના કારણે ગુજરાતના તમામ જિલ્લા શહેરોને એલર્ટ કરી દેવાયા હતા. જ્યારે તકેદારીના ભાગ રુપે અમદાવાદ પોલીસને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી હતી. અમદાવાદમાં પોલીસની તમામ એજન્સીને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવાઈ હતી. આ સાથે ફાયર બ્રિગેડના સ્ટાફ, 108 ની ટીમોને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, 108 તેમજ તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ પર રહેવાની સૂચના આપી છે. સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે, યુદ્ધની સ્થિતિને પગલે હોસ્પિટલમાં વોર્ડ દવાઓથી લઈને સ્ટાફની તમામ વ્યવસ્થા કરવાની અમે તૈયારી કરી રહ્યા છીએ કોઈપણ સ્થિતિને પહોંચી વળાય તે પ્રકારની હોસ્પિટલમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
ભારતે પાકિસ્તાન પર કરેલા હવાઈ હુમલા વચ્ચે એરસ્પેસ બંધ કરી દેવામાં આવતા અનેક ફલાઈટોના શેડ્યુલ ખોરવાયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર કરતી પ્રતિદિન 18 ફ્લાઈટો રદ કરાઈ છે જેમાં શ્રીનગર,જમ્મુ, ચંડીગઢ, જોધપુર, અમૃતસર, ભૂજ, કેશોદ એમ જુદાજુદા સેક્ટરની ફલાઇટોનો સમાવેશ થાય છે. તમામ ફ્લાઇટો આગામી 10 મે સુધી રદ કરી દેવાઇ છે. એરલાઇને ફલાઇટ કેન્સલેશનનો પેસેન્જરોને મેસેજ અને ફોન કરી જાણ કરવામાં આવી છે.
નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ અમદાવાદ એરપોર્ટને હાઈ એલર્ટ પર મૂક્યું છે. પેસેન્જરનું ફ્લાઈટમાં બેસતા પહેલા અને લગેજ બે વખત ચેક થશે. ટર્મિનલમાં મુલાકાતીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. પેસેન્જરોને 3 કલાક વહેલા પહોંચવા આદેશ કરાયો છે.