ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી હતી કે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ઈન્ટેલિજન્સ વિભાગના પ્રમુખ બ્રિગેડિયર જનરલ મોહમ્મદ કાઝમી અને તેમના ડેપ્યુટી જનરલ હસન મોહકિક તહેરાન પર ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા છે.
ઈઝરાયલે ઓપરેશન રાઈઝિંગ લાયન હેઠળ શરૂ કરેલું આક્રમણ ત્રીજા દિવસમાં પ્રવેશતા હવે બંને દેશ પૂર્ણ સ્તરના યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હોવાની આશંકા ઊભી થઈ રહી છે. ઈઝરાયલે રવિવારે દક્ષિણ ઈરાનમાં દુનિયાના સૌથી મોટા ગેસ ફિલ્ડ, સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય અને પરમાણુ મથક પર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડયું હતું. ઈઝરાયલે દાવો કર્યો કે તે એક ક્ષણ માટે પણ રોકાશે નહીં અને તહેરાન પર હુમલા ચાલુ રાખશે. ઇઝરાયલના હુમલામાં ઇરાનમાં 406 લોકોનાં મોત અને 654થી વધુ ઘાયલ થયા છે. બીજીબાજુ ઈરાને પણ ઓપરેશન ટ્રુ પ્રોમિસ-3 હેઠળ ઈઝરાયલના અનેક શહેરો પર બેલિસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો હતો, જેમાં 13 લોકોનાં મોત થયા હતા અને 130થી વધુને ઈજા પહોંચી છે.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શનિવાર-રવિવારની આખી રાત સામ-સામે મિસાઈલથી હુમલા ચાલુ રહ્યા હતા. ઈઝરાયલે રવિવારે ઈરાનમાં આવેલા દુનિયાના સૌથી મોટા ગેસ ફિલ્ડ, અનેક મોટા ઓઈલ ડેપો, ઈરાનના સંરક્ષણ મંત્રાલય પર મિસાઈલમારો કરીને ગંભીર નુકસાન પહોંચાડયું હતું. ઈઝરાયલે રાજધાની તહેરાનમાં રહેણાંક વિસ્તારો પર પણ હુમલા કર્યા હતા, જેમાં 29 બાળકો સહિત અત્યાર સુધીમાં કુલ 406 લોકોનાં મોત થયા છે અને 654 લોકોને ઈજા પહોંચી છે તેમ રવિવારે વોશિંગ્ટન સ્થિત ગૂ્રપ હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું. માનવાધિકાર સંસ્થા મુજબ ઈરાનમાં મૃતકોમાં 197 નાગરિકો, 90 સૈન્ય અધિકારીઓ અને અન્ય 199નો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોમાં 130 નાગરિકો, 71 સૈનિકો અને 483 અન્યનો સમાવેશ થાય છે.ઈઝરાયલે ફરી એક વખત ઈરાનના પરમાણુ મથકો પર હુમલા કર્યા હતા, જેમાં ફોર્દોથી લઈને ખોનડાબ, નતાંઝ, ઈસ્ફહાન અને બુશહેરનો સમાવેશ થાય છે. ઈઝરાયલના સૈન્યે રાજધાની તહેરાન પાસે શાહરાન ઓઈલ ડેપો, બુશહર શહેર નજીક દુનિયાના સૌથી મોટા પ્રાકૃતિક ગેસ ભંડાર ગેસ રિફાઈનરી, અને અબાદાનમાં ઓઈલ રિફાઈનરી પર હુમલા કર્યા હતા. ઈરાને કહ્યું કે, ઈઝરાયલે તેના ઊર્જા ઉદ્યોગ પર હુમલા કર્યા છે, જેની વૈશ્વિક બજારો પર અસર થવાની સંભાવના છે. ઈઝરાયલના સૈન્યે નાગરિકોને હથિયારો બનાવતી ફેક્ટરીઓ, ઓઈલ ફિલ્ડથી દૂર રહેવા ચેતવણી આપી છે.